amaz

Thursday 11 May 2017

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧

   
                                   મૂર્તિમાં અખંડવૃત્તિ – ધર્મકુળાશ્રિતની ધામગતિનું



સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૪ ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે રાત્રિને સમે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયું જે, “સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે?” ત્યારે સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃતિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃતિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃતિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ તેને પણ દેખે છે, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃતિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
ત્યારપછી હરિભકત શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછયું જે, “જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે?” પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “ભગવાનનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ.”
પછી મુકતાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયું જે “ભગવાનનો ભકત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરૂડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.”
પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજીમહારાજને પૂછયું જે, “કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિષે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એને ભગવાનનું માહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતિ નથી, કાં જે ‘અન્ય સ્થળ” ને વિષે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિષે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે
“अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति |
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविश्यति ||“
તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય.”
  
                                                          

                                                          



No comments:

Post a Comment