amaz

Monday 24 October 2016

આજ મારે ઓરડે રે,આવ્યા અવિનાશી અલબેલ કીર્તનની ઉત્પત્તિ



      આજ મારે ઓરડે રે,આવ્યા અવિનાશી અલબેલ કીર્તનની ઉત્પત્તિ :



એક દિવસ વૈરાગ્યામૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળવા તેમની ઓરડીએ આવ્યા. પ્રેમાનંદ સ્વામીએ પ્રણામ કરી નિષ્કુળાનંદ સ્વામીને આસન આપી વિનયથી પૂછ્‌યુ: ‘ સ્વામી ! આપની શી સેવા કરું?” નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ અરે ! હું તો તમારી પ્રેમભક્તિ માણવા આવ્યો છું. શ્રીજીમહારાજ સાથેનું કોઈક સંભારણું અને એવું જ કોઈક પદ સંભળાવો.” પ્રેમસખીએ સ્મૃતિને ઢંઢોળી, જૂના એક સ્મરણને તાજું કરતાં બોલ્યા: ‘ સ્વામી ! એકવાર શ્રીહરિ અહીં રાત્રે પધાર્યા હતા.” આ સાંભળતાં જ નિષ્કુળાનંદના મોંમાંથી ઉદ્‌ગાર નીકળી પડ્યા: “ શું કહો છો? શ્રીહરિ સ્વયં અહીં પધારેલા અને એ પણ રાતે! અહો! ધન્યભાગ્ય તમારા! પ્રેમાનંદ સ્વામીએ વાત આગળ વધારી: “સ્વામી ! ધન્ય ભાગ્ય તો આપણાં સૌનાં છે જ , નહિ તો આ સર્વોપરી મૂર્તિ ક્યાંથી મળે? પરંતુ અફસોસ એ હતો કે એ અધરાતે મહારાજ અહીં આવેલા, પણ હું કીર્તન ગાવામાં એવો તલ્લીન થઇ ગયેલો કે મને ખ્યાલ જ ન રહ્યો કે શ્રીહરિ આખી રાત બહાર ઊભા ઊભા સાંભળતા હતા. સવારે મને ખબર પડી ત્યારે મનમાં ઘણી ભોંઠપ થઈ, પણ શું કરું? અપરાધ થઈ ગયો. પ્રભુ મારે ઓરડે આવ્યા ને હું કાઈ સ્વાગત ન કરી શક્યો, પૂજા અર્ચના ન કરી શક્યો. એ વાતનો મનમાં વસવસો રહ્યા કરતો હતો. પરંતુ સ્વામી! મહારાજ તો અંતર્યામી છે ને ? મારા અંતરની અભિલાષાને તે પીછાની ગયા ને એક દિવસ ફરી જ્યાં ઓરડી બહાર જોઉં છું ત્યાં શ્રીહરિ સામે ચાલીને ઓરડીએ પધારતા હતા. તરત જ મારા મુખમાંથી હર્ષમાં ઉદ્‌ગાર નીકળી પડ્યા: ‘ આજ મારે ઓરડે રે , આવ્યા અવિનાશી અલબેલ ......’ આવા બે પદ લખી નાખ્યાં પછી ઠાકોરજીનો પ્રસાદ લેવા બેઠો. પાછા આવીને જોયું તો બીજાં બે પદ મહારાજે લખી નાંખેલા , તે પદ આ છે સાંભળો – ‘બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન : મારે એક વારતા રે સૌને સંભળાવ્યાનું છે મન ....’ મારા રચાયેલા પદના જ ઢાળમાં શ્રીજીમહારાજે પણ બે પદ રચ્યાં. આ વાત મેં કોઈને કહી નથી.’ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું: “ ઓહોહો સ્વામી! ધન્ય છે તમને ને ધન્ય છે તમારી પ્રેમભક્તિ ! આ પદમાં તો શ્રીહરિએ પોતાના સ્વરૂપની, ધામની, શક્તિની વાત સમજાવી છે અને વધુમાં વધુ અવતારના કારણ અવતારી પોતે જ છે એમ પણ સમજાવી દીધું છે!” પ્રેમસખી તો આ સાંભળતાં જ પ્રભુના સ્વરૂપમાં લીન થઇ ગયા. શ્રીજીના લીલા ચરિત્રો સંભારતાં ને સાંભળતા એમનાં રૂંવાડે રૂંવાડે રોમાંચ વ્યાપી જતો ને પ્રેમભાવમાં શ્રીજીસ્વરૂપમાં એવા તો લીન થઈ જતા કે દેહ, સ્થાન, સમય કે દેશકાળનું પણ ભાન તેમને રહેતું નહિ.
પ્રેમાનંદી ભક્તો ! આવો, સૌ સાથે મળીને ગાઈએ એ પ્રેમસખીના પ્રેમસ્પંદનો અને પ્રેમભીના પાતળિયાનાં પ્રસાદી પદોને.
પદ-૧
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવીયા રે, સુંદર છોગાંવાળો છેલ. ૧
નિરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નિરખી લાજે કોટિક કામ. ૨
ગુંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે ચરણે લાગી વારંવાર. ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર. ૪
કહો ને હરિ કયાં હતા રે, કયાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજીયા છે શણગાર. ૫
પહેરી પ્રીતશું રે, સુરંગી સુંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૬
ઊપર ઓઢીયો રે, ગુઢો રેંટો જોયા લાગ્ય;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય. ૭
મસ્તક ઊપરે રે, બાંધ્યું મોળીડું અમુલ્ય;
કોટિક રવિ શશિ રે, તે તો નાવે તેને તુલ્ય. ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ. ૯
પદ - ૨
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજયો અતિ સ્નેહ. ૧
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;
જેવા મેં નિરખ્યા રે, તેવા વર્ણવું કરીને પ્યાર. ૨
બરાસ કપુરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર. ૩
બાજુ બેરખા રે, બાંયે કપુરના શોભિત;
કડાં કપુરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત. ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
ચોરે ચિત્તને રે, હસતા કમળ નયનની કોર. ૫
હસતા હેતમાં રે, સૌને દેતા સુખ આનંદ;
રસરૂપ મૂર્તિ રે, શ્રીહરિ કેવળ કરુણા કંદ. ૬
અદ્ભુત ઊપમા રે, કહતાં શેષ ન પામે પાર;
ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસ શૃંગાર. ૭
વ્હાલપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
અંગો અંગમાં રે, જાણે ઊગીયા અગણીત સૂર. ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ. ૯
પદ - ૩
બોલ્યા શ્રી હરિ રે,સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સૌને સંભળાવ્યાનું છે મન.૧
મારી મૂર્તિ રે, મારાં લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાંતો જોયાની છે જુક્ત.૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ.૩
અતિ તેજોમય રે, રવિ શશિ કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઊપમા નવ દેવાય.૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર.૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન.૬
અગણિત વિશ્વની રે, ઊત્પતિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.૭
એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી.૮
હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વ્હાલો વરસ્યા અમૃત મેહ.૯
પદ - ૪
વળી સૌ સાંભળો રે, મારી વાર્તા પરમ અનૂપ;
પરમ સિદ્ધાંત છે રે, સૌને હિતકારી સુખરૂપ.૧
સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.૨
સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર.૪
સૌ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારા નિયમ;
તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઊપદેશ;
લટકાં હાથનાં રે, કરતા શોભે નટવર વેશ.૬
નિજજન ઊપરે રે, અમૃત વરસ્યા આનંદ કંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણચંદ.૭
શોભે સંતમાં રે, જેમ કોઈ ઊડુગણમાં ઊડુરાજ;
ઈશ્વર ઊદય થયા રે, કળીમાં કરવા જનનાં કાજ.૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર.

No comments:

Post a Comment